Wednesday, April 1, 2020

"ગુજરાત ના પડોશી રાજ્ય રાજસ્થાન નુ ભીલવાડા ભારત નુ ઈટલી બનશે?"

કોરોના વાઇરસ : ગુજરાતના પડોશી રાજસ્થાનનું ભીલવાડા ખરેખર 'ભારતનું ઇટાલી' બનશે?

(ઈકરામ મલેક દ્વારા) રાજપીપળા
રાજસ્થાનના એક શહેરની ખાનગી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઈસીયુ)માં આઠમી માર્ચે સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગ્યે 68 વર્ષીય એક પુરુષને દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂમૉનિયાથી પીડાતા એ પુરુષને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.
ભીલવાડાસ્થિત બ્રિજેશ બાંગર મેમોરિયલ હૉસ્પિટલમાં 58 વર્ષના ઇન્ટર્નલ મેડિસિનના ડૉક્ટર આલોક મિત્તલ અને તેમની ટીમે નવા દર્દીને તપાસ્યો હતો. એ દર્દીને, તેણે છેલ્લા કેટલાક દિવસોમાં ક્યાં-ક્યાં પ્રવાસ કર્યો હતો એ પૂછવામાં આવ્યું નહોતું અને દર્દીએ તેની ટ્રાવેલ હિસ્ટરી જણાવી પણ ન હતી. આઈસીયુમાં બીજા છ દર્દીઓ પણ હતા.
એ પુરુષ દર્દીની હાલતમાં ખાસ સુધારો થયો ન હતો અને બે દિવસ પછી તેને ભીલવાડાથી 250 કિલોમીટર દૂર આવેલા જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ખાસ પ્રકારની સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. જયપુરની બે હૉસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી હતી.


ભીલવાડાથી આવેલા એ પુરુષ દર્દીની સારવાર કરનાર નર્સ શાંતિલાલ આચાર્યે કહ્યું હતું, "શું થશે તેની અમને કંઈ જ ખબર ન હતી."
જયપુરમાંની એ હૉસ્પિટલે પણ ભારે ન્યૂમોનિયાથી પીડાતા એ પુરુષ દર્દીનું કોરોના વાઇરસ માટે કોઈ અકળ કારણસર પરીક્ષણ કર્યું ન હતું. એ દર્દીની હાલત ઝડપથી કથળી હતી અને 13 માર્ચે તેનું મૃત્યુ થયું હતું. એ દર્દીના મૃત્યુના સમાચાર ડૉ. મિત્તલ અને તેમની ટીમને આપવામાં આવ્યા હતા.
આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં કોવિડ-19 ફાટી નીકળવાની તૈયારીમાં છે એ સ્પષ્ટ હોવા છતાં ડૉક્ટરો પરિસ્થિતિની ગંભીરતાને સમજી શક્યા ન હતા.
ભારતમાં 25 માર્ચે બપોરે 3.15 સુધી કોરોના વાઇરસના 512 કન્ફર્મ્ડ કેસ તથા 9 મૃત્યુ નોંધાયાં છે અને પરીક્ષણનું પ્રમાણ અત્યંત ઓછું છે.
અહેવાલો અનુસાર, ડૉ. મિત્તલ અને અન્ય લોકો નવમી માર્ચે ઉદયપુર ગયા હતા અને એક રિસોર્ટમાં હોળી રમ્યા હતા. (ડૉ. મિત્તલના સંપર્ક માટે ફોન તથા ટેક્સ્ટ મૅસેજ દ્વારા વારંવાર પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો)
ન્યૂમોનિયાના દર્દીના મૃત્યુના દિવસો પછી ડૉ. મિત્તલ અને તેમના એક સાથી એક સરકારી હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લેતા થયા હતા.
એ પછીના થોડા દિવસોમાં તેમની હૉસ્પિટલના બીજા કેટલાક સાથીઓ પણ આઇસોલેશન વોર્ડમાં સારવાર લેવામાં જોડાયા હતા. ડૉ. મિત્તલ સહિતના 12 લોકો કોવિડ-19નો ચેપ લાગ્યો હોવાનું પરીક્ષણમાં જાણવા મળ્યું હતું.
એ પછીના દિવસે હૉસ્પિટલની તબીબી ટીમને લાગેલા ચેપના સમાચાર બહાર આવ્યા હતા અને આભ તૂટી પડ્યું હતું. ખાનગી હૉસ્પિટલમાં સંખ્યાબંધ લોકો સારવાર માટે આવવા લાગ્યા હતા. ગભરાયેલા લોકોએ ચેપના પ્રસાર માટે ડૉક્ટરોને દોષી ઠરાવવાનું શરૂ કર્યું એટલે સત્તાવાળાઓ ઝડપથી પગલાં ભરવાં લાગ્યા હતા.
સત્તાવાળાઓએ 'જનતા કર્ફ્યુ' લાદ્યો હતો અને લોકોને ઘરમાંથી બહાર નીકળવાની તથા જાહેર સમારંભોની મનાઈ ફરમાવી હતી. સત્તાવાળાઓએ સ્કૂલ્સ, કૉલેજો, ઑફિસો બંધ કરાવ્યાં હતાં અને લોકોના જિલ્લામાં આવવા તથા બહાર જવાનું બંધ કરાવ્યું હતું. ખાનગી હૉસ્પિટલને સીલ કરવામાં આવી હતી અને તેના 88 દર્દીઓને બીજી હૉસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સ્થાનિક પત્રકાર પ્રમોદ તિવારીએ મને કહ્યું હતું, "ગંભીર જોખમ છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે એવું અધિકારીઓએ અમને જણાવ્યું હતું."
તેથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની આશંકાએ ભીલવાડામાં એ બધું જ કરવામાં આવ્યું હતું, જે થોડા દિવસ પછી સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે.

સવાલ એ છે કે ચાર લાખથી વધુ લોકોની વસતી ધરાવતું અને દેશનાં મોટાં કાપડ ઉત્પાદક શહેરો પૈકીનું એક આ શહેર ભારતમાં કોરોના વાઇરસનું સૌપ્રથમ હોટસ્પૉટ બનશે?

સોર્સ:- બી.બી.સી ગુજરાતી સાભાર

No comments:

Post a Comment